સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે
ગયો. આ યુવાનની
વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે.
વિદ્વાને આ યુવાનને પાણીનો
એક ગ્લાસ
આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં
ગયુ કે તુરંત
જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો. વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે ?"
પંડીતે યુવાનની માફી
માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના
જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. " યુવાન અને
પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના
અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ.
યુવાન વિચારમાં પડી ગયો
કે અહિયા તે મીઠાને શું કરવું હશે ? પેલા વિદ્વાને આ થેલીમાંથી એક મુઠી ભરીને મીઠુ તળાવમાં નાખ્યું. થોડીવાર પછી
યુવાનને કહ્યુ " બેટા હવે જરા આ તળાવનું પાણી પી અને મને જણાવ કે
તને પાણી કેવુ લાગે છે." યુવાને તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધુ અને પછી
વિદ્વાનને કહ્યુ , " પંડીતજી પાણી સરસ મીઠું છે અને તમે જે મુઠી ભરીને મીઠું નાખ્યુ
હતુ તળાવમાં
એની કોઇ અસર આ પાણીની મીઠાશ પર થઇ નથી. "
વિદ્વાને
યુવાનને કહ્યુ
" અરે, ભાઇ
ઘરે પાણીના ગ્લાસમાં પણ એક મુઠી મીઠું નાખ્યુ
હતું ત્યારે તો મીઠાની
અસર થઇ હતી તો અત્યારે કેમ ના થઇ? " યુવાન કહે, " પંડીતજી તમે પણ કેવી વાત કરો છો ! ઘરે જે પાણીમાં એક મુઠી મીઠુ
નાખ્યુ તે પાણીનો જથ્થો ઓછો હતો એટલે અસર થઇ અને અહિંયા પાણીનો જથ્થો વધુ
છે એટલે અસર ન થઇ. "
વિદ્વાન માણસે યુવાનનો
હાથ પકડી અને પ્રેમથી કહ્યુ , " બેટા સમસ્યા તો આ મુઠીભર મીઠા જેટલી એક સરખી જ હોય છે પણ જો આપણે
આપણા વિચારોનું
વાસણ મોટુ કરી દઇએ તો એ સમસ્યાની કોઇ અસર ન થાય. "
મિત્રો , આપણા વિચારોરુપી જળનો જથ્થો જો પુરતા પ્રમાણમાં હશે તો આવનારી
સમસ્યાની કોઇ વિપરિત
અસર જીવન પર નહી પડે. સમસ્યાની અસર હકારાત્મક વિચારોના
અભાવને કારણે જ વધુ અનુભવાતી
હોય છે.
No comments:
Post a Comment