Thursday 30 June 2016

કોઇપણ વ્યક્તિ મારા વિષે જે કંઇ ઘસાતુ કે ખરાબ બોલે એ જો સાચુ હોય તો મારે એનો સ્વિકાર કરીને મારી જાતને સુધારવી જોઇએ અને જો એ ખોટુ હોય તો એ મારા માટે બોલાતું જ નથી તો એનો જવાબ જ શા માટે આપવો ?



એક સન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સન્યાસીને મળવા માટે આવ્યો. એ ખુબ ગુસ્સામાં હતો. સન્યાસીને જેમફાવે તેમ બોલવા લાગ્યો. ગાળો પણ ભાંડી પણ સન્યાસી કંઇ જ બોલ્યા વગર શાંતિથી આ માણસને સાંભળી રહ્યા હતા.

પેલો માણસ બરાડા પાડીને બોલતો રહ્યો અને સન્યાસી મંદ મંદ સ્મિત કરતા-કરતા સાંભળતા રહ્યા. હવે પેલો બોલી બોલીને કંટાળ્યો એટલે એ જતો રહ્યો. સન્યાસીની સાથે તેના સેવકો હતા તે બધા ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા. એમણે સન્યાસીને પુછ્યુ , “ એ માણસ આપને ખુબ ખરાબ શબ્દો કહી રહ્યો હતો તમે કોઇ જવાબ આપવાને બદલે માત્ર સાંભળતા જ કેમ હતા ?”

સન્યાસીએ સેવકને કહ્યુ , “ બેટા આપણે કોઇના માટે કોઇ ભેટ લઇને જઇએ. સામે વાળી વ્યક્તિને એ ભેટ આપીએ પણ સામે વાળી વ્યક્તિ એ ભેટ સ્વિકારે જ નહી તો પછી જે ભેટ આપણે એમના માટે લઇ ગયા હોય એ કોની પાસે પડી રહે ?” સેવકે કહ્યુ , “ ગુરુદેવ જો સામે વાળો ભેટ ન સ્વિકારે તો પછી જે માણસ ભેટ લઇને આવ્યો હોય એની પાસે જ ભેટ પડી રહે.

સન્યાસીએ કહ્યુ , “ બેટા, બીલકુલ સાચો જવાબ છે. સામેવાળો માણસ તમને ગાળો આપે પણ એ ગાળોને તમે સ્વિકારો જ નહી તો એ ગાળો તમારી પાસે આવતી જ નથી એ સામે વાળા માણસ પાસે એમની એમ જ પડી રહે છે.

કોઇપણ વ્યક્તિ મારા વિષે જે કંઇ ઘસાતુ કે ખરાબ બોલે એ જો સાચુ હોય તો મારે એનો સ્વિકાર કરીને મારી જાતને સુધારવી જોઇએ અને જો એ ખોટુ હોય તો એ મારા માટે બોલાતું જ નથી તો એનો જવાબ જ શા માટે આપવો ?
 

No comments: