Saturday 18 June 2016

પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.



જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશા એવુ લાગતુ કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સન્યાસી પાસે એ ગઇ અને સન્યાસીને કહ્યુ, “ મહારાજ , મારા પતિ મને પહેલા ખુબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત થઇ ગયો છે એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખુબ સાંભળ્યું છે આપ એવી કોઇ ઝડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુન: પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકુ.

સન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યુ , “ બહેન હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મુછનો વાળ જોઇએ બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શુરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી.

બીજા દિવસે એ વાઘની શોધમાં નિકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઇ કે ચાલો વાઘ મળી ગયો હવે એની મુછ પણ મળ જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દુર ખસી ગઇ. દુર ઉભા ઉભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી.

એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દુર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો. વાઘે પણ હવે તાડુકવાનું બંધ કરી દીધુ. એકદિવસ તો આ સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરિર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇ ન બોલ્યો એટલે ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો.

દોડતી દોડતી એ સન્યાસી પાસે ગઇ અને સન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યુ , “ લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની ઝડીબુટ્ટી બનાવી આપો.સન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી કે તમે આ શું કર્યુ ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી ઝડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.

સન્યાસીએ હસતા હસતા ઉતર આપ્યો , “ બહેન તને હજુ ના સમજાયુ. જો પ્રેમ અને ધિરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઇ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.

આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

No comments: