Wednesday, 16 December 2015

ભગવાનને જાણવાને બદલે જો માણવાનો પ્રયાસ કરીએ તો પેલા વિદ્વાન જેવા આનંદથી આપણે હદયને ભરી શકીશું.

કોઇ એક વિદ્વાન માણસે એવું નક્કી કર્યુ કે મારે ભગવાનને જાણવા છે. એમણે પુસ્તકો વાંચવાની શરુઆત કરી, ખુબ વાંચ્યુ , દિવસ રાત વાંચ્યુ , ભગવાન વિષે જે જે લખાયુ હતુ અને જ્યા જ્યા લખાયુ હતુ તે બધુ જ વાંચ્યુ. લોકો તો એના પગે પડે કારણ કે એ જ્યારે ભગવાન પર બોલે ત્યારે જાત જાતના સંદર્ભ આપીને બોલે વિશ્વના જુદા જુદા ધર્મના શાસ્ત્રોના આધારે વાત કરે.લોકો એને પૂજતા એના પગે પડતા હતા એની વિદ્વતાની વાતો બધા કરતા હતા.

પરંતું વાસ્તવિકતા તો એ હતી કે એને એમ જ લાગતુ હતુ કે હું ભગવાન વિષે કંઇ જાણતો નથી મને કંઇ અનુભવાતું જ નથી આટલા બધા પ્રયાસ પછી પણ હું કેમ ભગવાન વિષે કંઇ નથી જાણી શક્યો ? મારે જીવવું જ નથી બસ મરી જવું છે એમ વિચારીને એ સમુદ્વમાં પડીને પોતાનો જીવ આપી દેવા માટે ઘેરથી નીકળી ગયો.
સમુદ્ર કિનારે પહોંચ્યો ત્યાં એણે એક નાના બાળકને રડતા જોયો. એ પેલા બાળક પાસે ગયો અને બાળકને રદવાનું કારણ પુછ્યુ. પેલા બાળકે પોતાની પાસેનો નાનો ગ્લાસ બતાવીને કહ્યુ કે મે ઘરે બધાને કહ્યુ છે કે હું આ ગ્લાસમાં સમુદ્ર ભરી લાવીશ. પણ અહિંયા આવીને પ્રયાસ કરું છુ સમુદ્વ મારા ગ્લાસમાં ભરાતો જ નથી ! પેલા વિદ્વાન માણસની આંખ ખુલી ગઇ અને એ નાચવા લાગ્યો આત્મહત્યા તો બાજુમાં રહી કોઇ અપરિચિત આનંદથી એનું હૈયુ તરબતર થઇ ગયુ.
મિત્રો આપણે પણ આ બાળક જેવા મુરખાઓ છીએ, સમુદ્ર જેવા ભગવાનને આપણા કહેવાતા જ્ઞાનના નાનકડા પ્યાલામાં ભરવાનો મિથ્યા પ્રયાસ કરીએ છીએ. ભગવાનને જાણવાને બદલે જો માણવાનો પ્રયાસ કરીએ તો પેલા વિદ્વાન જેવા આનંદથી આપણે હદયને ભરી શકીશું.

No comments: