Thursday 24 December 2015

વિકટ પરિસ્થિતીમાં પણ પોતાની જાત પર સંયમ રાખે એ સજ્જન.

એક સાધુ નદી કિનારે પોતાના કપડા મુકીને નદીમાં સ્નાન કરવા માટે ગયા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એણે સ્નાન પૂર્ણ કર્યુ. નદીમાંથી થોડું પાણી લોટામાં ભરીને સૂર્યનારાયણને અંજલી પણ આપી. સ્નાનવિધી પુરી કરીને એ નદી કાંઠે રાખેલા પોતાના કપડા લેવા માટે આવ્યા. એમણે જોયુ તો કપડા ગંદા થઇ ગયા હતા. નદી કિનારા પર નાના બાળકો રમતા હતા અને આ બાળકો ગંદા પગ સાથે
દોડાદોડી કરી રહ્યા હતા એમાં જ અજાણતા બાળકોના પગ કપડા પર પડતા કપડા ગંદા થયા હતા. સાધુને આ વાત સમજાય ગઇ એટલે એ, દુર કપડા ધોતી બાળકોની માતાને ખીજાયા અને ઘણું ન બોલવાનું પણ બોલ્યા. સાધુના બરાડા સાંભળીને બાળકનો પિતા પણ ત્યાં આવ્યો અને સાધુને વાણી પર વિવેક રાખવા માટે વિનંતી કરી. સાધુ તો સતત તાડુક્યે જ જતો હતો. પછી તો પેલો પુરૂષ પણ ક્રોધે
ભરાયો અને સાધુને ગાળો આપવાની શરૂઆત કરી સામે સાધુએ પણ ગાળોવાળી કરી બંને ગાળો બોલીને થાક્યા એટલે એકબીજાને મારવા પર ઉતરી આવ્યા. આ મારામારીમાં પેલા પુરૂષે સાધુને માથામાં કોઇ બોથડ પદાર્થ માર્યો અને સાધુનું મૃત્યુ થયું. સાધુ ઉપર ગયા એટલે ત્યાં પણ રાડારાડી કરવા લાગ્યા કે મારે ભગવાનને મળવું છે ક્યાં છે એ ? બોલાવો એને મારે ફરીયાદ કરવી છે. દુતો આ સાધુને ભગવાન પાસે લઇ ગયા એટલે સાધુએ ભગવાનને ફરિયાદ કરતા કહ્યુ , “ તમારે ત્યાં કંઇ ન્યાય જેવુ છે કે નહી. હું કેટલા વર્ષોથી તમારી સેવા પુજા કરુ છું. અરે મે તમારા માટે મારું ઘર, મારો પરિવાર બધુ જ છોડીને સંન્યાસ લીધો. મેં તમારા માટે આટલું કર્યુ અને તમે મને બચાવવા માટે પણ ના આવ્યા?” ભગવાને કહ્યુ, “ જો શાંતિથી સાંભળ. તું મુશ્કેલીમાં છો એવા સમાચાર મળતા હું તરત જ તારી મદદ માટે આવી પહોંચ્યો હતો. નદી કાંઠે આવીને ઉભો રહ્યો પણ હું નક્કિ ન કરી શક્યો કે તમારા બંનેમાંથી સાધુ કોણ છે?” વિકટ પરિસ્થિતીમાં પણ પોતાની જાત પર સંયમ રાખે એ સજ્જન. પરમાત્મા આવા સજ્જનોની મદદ કરવા માટે હંમેશા હાજર જ હોઇ છે પણ આપણે જ પ્રભુને કન્ફ્યુઝ કરી દઇએ છીએ.

No comments: