Thursday, 24 December 2015

આપણે જે નથી એની ચિંતામાં ને ચિંતામાં જે છે એનો આનંદ લેવાનું સાવ ભુલી જઇએ છીએ.

કોઇ એક સંત ફરતા ફરતા કોઇ ગામમાં આવી ચડ્યા. ગામના પાદરમાં આવેલા કુવાની પાસે વૃક્ષ નીચે
આરામ કરવા બેઠા. ગામમાંથી પનિહારીઓ પાણી ભરવા માટે આવી એટલે આ સંતે વિનંતી કરતા કહ્યુ, “ બહેન, મને ખુબ તરસ લાગી છે, થોડું પાણી પાશો.પનિહારીએ હા પાડી એટલે એ સંત પાણી પિવા માટે કુવાના કાંઠે ગયા. એમણે જોયુ કે બધી પનિહારીઓ બાલ્ટીને દોરડાથી બાંધીને કુવામાંથી પાણી ખેંચી રહી હતી. કુવામાં નજર કરી ત્યારે કેટલીક પાણીથી ભરેલી બાલ્ટીઓ ઉપર આવી રહી હતી તો કેટલીક ખાલી બાલ્ટીઓ પાણીની સપાટી તરફ જઇ રહી હતી. પેલા સંતે આ દૃશ્ય જોયુ એટલે વિચારમાં પડી ગયા. પનિહારીએ પાણી પાવા માટે બાલ્ટી આગળ કરી તો સંત વિચારોમાં ખોવાયેલા હતા. પનિહારીએ પુછ્યુ, “ મહારાજ , ક્યાં ખોવાઇ ગયા ? લો પાણી પી લો.સાધુએ પનિહારીને કહ્યુ કે બહેન
હું તો વિચારતો હતો કે માણસ પણ આ બાલ્ટીઓ જેવો જ છે. પનિહારીએ પુછ્યુ , “ એ કેવી રીતે ,બાલ્ટીને ને માણસને શું સંબંધ ?” પેલા સંતે સમજાવતા કહ્યુ , “ જો બહેન , કુવામાં પાણીથી ભરેલી બાલ્ટી ઉપર આવે છે ત્યારે એ છલકાય છે અને ખાલી બાલ્ટી નીચે જાય છે ત્યારે એ પથ્થર સાથે અથડાવાથી ખણ-ખણ કરતી જાય છે. ભરેલી બાલ્ટી રડે છે કારણ કે એને ખાલી થઇ જવાનો ડર લાગે છે અને ખાલી બાલ્ટી હશે છે કારણકે એને આશા છે કે હમણા નીચે જશે એટલે ભરાઇ જશે. માણસ પણ આ ભરેલી બાલ્ટીની જેમ બધુ હોવા છતા જતું રહેવાના ડરથી રડ્યા કરે છે પેલી ખાલી બાલ્ટીની જેમ ભરાઇ જવાની આશા સાથે હસતા આવડતું નથી.આપણે જે નથી એની ચિંતામાં ને ચિંતામાં જે છે એનો આનંદ લેવાનું સાવ ભુલી જઇએ છીએ.

No comments: